Supreme Court : સુપ્રીમ કોર્ટની બેન્ચે નોટિસ જાહેર કર્યાના 24 કલાકની અંદર મકાનો તોડી પાડવા અને પીડિતોને અપીલ કરવા માટે સમય ન આપવા બદલ પણ નારાજગી વ્યક્ત કરી હતી.
Supreme Court : દેશની સર્વોચ્ચ અદાલતે એક કેસની સુનાવણી વખતે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે સોમવારે પ્રયાગરાજમાં મકાનોના “મનસ્વી” રીતે તોડી પાડવા બદલ ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કાર્યવાહીથી તેમનો અંતરાત્મા સ્તબ્ધ થઈ ગયો છે. જસ્ટિસ અભય એસ ઓકા અને ઉજ્જલ ભુઇયાની બેન્ચે નોટિસ જાહેર કર્યાના 24 કલાકની અંદર મકાનો તોડી પાડવા અને પીડિતોને અપીલ કરવા માટે સમય ન આપવા બદલ પણ નારાજગી વ્યક્ત કરી હતી.
આ પ્રકારની પ્રક્રિયા સહન કરી શકાતી નથી: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે, આપણા અંતરાત્માને હચમચાવી નાખે છે કે રહેણાંક સંકુલને મનસ્વી રીતે કેવી રીતે તોડી પાડવામાં આવ્યા. આ આખી પ્રક્રિયા જે રીતે હાથ ધરવામાં આવી તે ચોંકાવનારી છે. અદાલતો આવી પ્રક્રિયા સહન કરી શકે નહીં. જો આપણે એક કિસ્સામાં તેને સહન કરીશું, તો તે ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોર્ટ અરજદારોને તોડી પાડવામાં આવેલા મકાનો ફરીથી બનાવવાની મંજૂરી આપશે, જો તેઓ નિર્ધારિત સમયમર્યાદામાં અપીલ અધિકારી સમક્ષ અપીલ દાખલ કરે. કોર્ટે કહ્યું કે, જો તેમની અપીલ ફગાવી દેવામાં આવે તો અરજદારોએ પોતાના ખર્ચે મકાનો તોડી પાડવા પડશે. અરજદારોને સોગંદનામા દાખલ કરવા માટે મામલો મુલતવી રાખવામાં આવ્યો હતો.
કોર્ટમાં સરકાર દ્વારા શું કહેવામાં આવ્યું ?
એટર્ની જનરલ આર વેંકટરામણીએ રાજ્યની કાર્યવાહીનો બચાવ કર્યો ખાતરી આપી કે નોટિસ બજાવવામાં પૂરતી “યોગ્ય પ્રક્રિયા”નું પાલન કરવામાં આવ્યું હતું. મોટા પાયે ગેરકાયદેસર અતિક્રમણ તરફ ઈશારો કરતા તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર માટે અનધિકૃત અતિક્રમણને નિયંત્રિત કરવું મુશ્કેલ હતું.
સુપ્રીમ કોર્ટે પહેલાથી જ કરી છે ટીકા
સુપ્રીમ કોર્ટે અગાઉ ઉત્તર પ્રદેશ સરકારની પ્રયાગરાજમાં યોગ્ય કાનૂની પ્રક્રિયાનું પાલન કર્યા વિના મકાનો તોડી પાડવા બદલ ટીકા કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, આ કાર્યવાહી ‘આઘાતજનક અને ખોટો સંકેત’ આપે છે. અરજદારોના વકીલે કહ્યું હતું કે, રાજ્ય સરકારે ખોટી રીતે મકાનો તોડી પાડ્યા હતા અને વિચાર્યું હતું કે, જમીન ગેંગસ્ટર-રાજકારણી અતીક અહેમદની છે. ઉલ્લેખનિય છે કે, 2023માં અતિક અહેમદની હત્યા કરવામાં આવી હતી. નોંધનિય છે કે, સુપ્રીમ કોર્ટ વકીલ ઝુલ્ફીકાર હૈદર, પ્રોફેસર અલી અહેમદ અને અન્ય લોકો દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી જેમના ઘર તોડી પાડવામાં આવ્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટે તેમના મકાનો તોડી પાડવાને પડકારતી તેમની અરજી ફગાવી દીધી હતી.