T20 World Cup 2024: ટી-20 વર્લ્ડ કપ 2024ની બંને સેમિ ફાઈનલ 27 જૂને રમાવાની છે. પ્રથમ સેમિ ફાઈનલ સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી સેમીફાઇનલ રમાશે. આ મેચો માટે આઈસીસીએ એક નિયમ બનાવ્યો છે જેના પર ફેન્સ અને એક્સપર્ટ સવાલ ઉઠાવી રહ્યા છે.
T20 World Cup 2024: ટી-20 વર્લ્ડ કપની સુપર 8માં શાનદાર દેખાવ કરનારી ચાર ટીમો સેમિ ફાઈનલમાં પ્રવેશી ચૂકી છે. હવે ટી-20 વર્લ્ડ કપની બંને સેમિ ફાઈનલ તારીખ 27મી જુને રમાશે. પ્રથમ સેમિ ફાઈનલમાં સાઉથ આફ્રિકાનો મુકાબલો અફઘાનિસ્તાન સામે થશે, જ્યારે બીજી સેમિ ફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ ટકરાશે. જોકે આ બંને નોકઆઉટ મેચો અગાઉ જ ચાહકોને આશ્ચર્ય થયું છે. નવાઈની વાત એ છે કે, બંને સેમિ ફાઈનલ માટે જુદા-જુદા નિયમો છે. સામાન્ય રીતે ટૂર્નામેન્ટમાં દરેક ટીમ માટે એક સરખા નિયમો હોય છે પરંતુ આઈસીસીએ પહેલી અને બીજી બંને સેમીફાઈનલ માટે અલગ-અલગ નિયમો રાખ્યા છે. એટલે કે અફઘાનિસ્તાન અને સાઉથ આફ્રિકાની સેમિ ફાઈનલમાં જુદા-જુદા નિયમો હશે, જ્યારે ભારત-ઈંગ્લેન્ડની સેમિ ફાઈનલ માટે જુદા-જુદા નિયમો હશે.
T20 World Cup 2024: પ્રથમ સેમી-ફાઇનલ નિયમ
આઇસીસીએ ટી-20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ માટે રિઝર્વ ડે રાખ્યો છે. એટલે કે વરસાદને કારણે મેચની ઓવરો ઓછી કરવામાં આવે અને તો પણ રમત પૂરી ન થાય તો મેચ રિઝર્વ ડેમાં રમાશે. રિઝર્વ ડે માં, રમત ત્યાંથી શરૂ થશે જ્યાંથી તે અટકી ગઈ હતી. બાય ધ વે, રિઝર્વ ડેના આગલા દિવસે મેચના અંતે એકસ્ટ્રા 60 મિનિટનો સમય આપવામાં આવ્યો છે અને રિઝર્વ ડેનો આ વધારાનો સમય 190 મિનિટનો છે. જો રિઝર્વ ડેના દિવસે વરસાદના કારણે રમત ન રમાઈ શકી તો સાઉથ આફ્રિકાની ટીમ સુપર 8 રાઉન્ડમાં ટોચનું સ્થાન મેળવીને ફાઈનલમાં પ્રવેશ મેળવશે.
બીજો સેમી-ફાઇનલ નિયમ
પ્રથમ સેમિ ફાઈનલથી વિપરીત બીજી સેમિ ફાઈનલમાં કોઈ રિઝર્વ ડે નથી. એટલે કે બીજી સેમીફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની મેચ ધોવાઇ જાય તો બીજા દિવસે કોઇ રિઝર્વ ડે નથી. જોકે મેચ પુરી કરવા માટે 250 મિનિટનો વધારાનો સમય આપવામાં આવ્યો છે. જો આ મેચ નહીં થઈ શકે તો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં એટલા માટે પહોંચી જશે કારણ કે તે સુપર 8માં પોતાના ગ્રુપમાં ટોપ પર છે. આવી સ્થિતિમાં ક્યાંકને ક્યાંક ઈંગ્લેન્ડની ટીમ સાથે અન્યાય તો થશે જ.
અલબત્ત, 10 ઓવર
ટી-20માં સામાન્ય રીતે 5 ઓવરની રમત જરુરી હોય છે. પણ સેમિ ફાઈનલ અને ફાઈનલમાં ઓછામાં ઓછી 10 ઓવરની રમત રમવી જરુરી છે. જ્યાં સુધી બંને ટીમો 10 ઓવર નહીં રમે ત્યાં સુધી મેચનું પરિણામ નહીં આવે. આમ જોવા જઈએ તો જો ટી-20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં વરસાદની સંભાવના ન હોત તો વધારે તણાવ ન રહેત, પરંતુ બીજી સેમીફાઈનલમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી દેવામાં આવી છે.